મહા શિવરાત્રિ

                     આજે મહાવદ ચૌદસ [મહાશિવરાત્રિ]

sanatan_shiva1
આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

1] કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
2] મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
3] મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. પરંતુ મહાશિવરાત્રિ મંગળકારી અને કલ્યાણકારી રાત્રિ છે. દેશભરના અલગ અલગ શિવાલયો અને 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ કહેવાય છે. શિવજી જ્ઞાનના દેવ કહેવાય છે તેથી આ રાત્રિ જ્ઞાનરાત્રિ કહેવાય છે. શિવજીને આ મહાવદની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહાશિવ રાત્રિ કહેવાય છે. આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને આ દિવસે જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પત્તિ થઈ હતી એવું મનાય છે.

લિંગપૂજા એ શિવ પૂજાના પ્રતિક રૂપે છે. ભગવાન શિવની પૂજા ફક્ત બીલીપત્ર, ફૂલ અને શુદ્ધ જળથી થાય છે. જો તે શ્રદ્ધા અને અંતઃકરણથી કરવામાં આવે તો અવશ્ય તેમની કૃપા વરસે છે. સંહારનું પ્રતિક ત્રિશૂળ અને સંગીતનું પ્રતિક ડમરૂ એકસાથે રાખનાર આ એક જ દેવ છે. લોકકલ્યાણ ખાતર વિષ પીનારા શિવજી મહાદેવ કહેવાયા. શિવજી આપણા હૃદયને વિકારરહિત બનાવી તેમાં નિવાસ કરે છે.

શંકર એટલે ‘શુભં કરોતી ઈતિ શંકર’, જે કલ્યાણ કરે તે શિવ. શિવજી કહે છે ‘શિવરાત્રિના દિવસે જે ઉપવાસ [ઉપ એટલે સમીપ વાસ એટલે બેસવું] કરી શ્રદ્ધાપૂર્વક જે મારૂં પૂજન કરશે તેને આખું વર્ષ પૂજન કર્મનું ફળ મળશે.
દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. ઋગવેદમાં શિવજીની પ્રાર્થના છે કે ‘જેણે પોતાનાં ત્રણ નેત્રોથી ક્રોધ અને લોભનું દહન છે એ શાંત તેજની આપણે ઉપાસના કરીએ છીએ.’ મસ્તકે ગંગા, ભાલ પર ચન્દ્ર ને શરીર પર સર્પોની માળા ધરાવનારા, ભક્તોને રિદ્ધિ-સિદ્ધિ અને મુક્તિ અપાવનાર ત્યાગી હોવા છતાં સંસારી છે. જગત કલ્યાણાર્થે ઝેર પી જઈ નીલકંઠ થનારા, કામને બાળી મૂક્યો છતાં ઉમા સંગ નિવાસ કરનારા, પતિતપાવની ગંગાનું પાન કરનારા, બ્રહ્માંડપતિ, કરુણાસિંધુ, એકાંતવાસી, મહાત્યાગી ને પરમ ઉદાર એવા શિવજીનાં ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. તેઓ સત્યમ, શિવમ અને સુંદરમ છે. તેમના સ્વરૂપને જાણવા એમની કૃપા થાય તો જ શિવતત્વને જાણી શકાય છે.

સદાશિવનું પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ તેજ અને લલાટે નેત્રની જ્યોતિસ્વરૂપ મહાદેવનું અંતઃકરણથી આ શિવરાત્રિએ આપણા અંતરથી પ્રાર્થના અને પ્રણામ કરી ધન્યતા પામીએ.

                                    ૐ નમઃ શિવાય

શિવાલયમાં ગણેશજી અને હનુમાનજીનું મહત્વ

                                      આજે મહા વદ આઠમ

                 શિવાલયમાં ગણેશજી અને હનુમાનજીનું મહત્વ

shiv1hanumaan1

 

     શિવાલયમાં નિજભાગમાં પ્રવેશતા એક તરફ ગણેશજી બિરાજે છે અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે.

      ગણેશજીની પ્રાગટ્ય કથા તો ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીને સ્નાન કરવાનું મન થયું. શરીરનો મેલ ઉતારી તેનું પુતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યો. એ બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને કોઈને અંદર પ્રવેશવા ન દેવાની આજ્ઞા કરી. જેવા પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને આ બાજુ શિવજીની સમાધિ ખૂલી. હાથમાં ત્રિશૂળ લઈ ઘર ભણી ઉપડ્યા. આવીને જુએ છે તો ત્યાં એક બાળક પેહેરો ભરી રહ્યો છે, જે શિવજીને અંદર જવા દેતો નથી. પોતાના ઘરમાં પ્રવેશતા અટકાવનાર પર શિવજીને ક્રોધ ચઢ્યો અને તેનો શિરચ્છેદ કર્યો. શિવજી અંદર ગયા અને લોહીવાળું ત્રિશૂળ જોઈ પાર્વતીજીને શંકા ગઈ. હકીકત જાણતા તેમણે પ્રભુને જણાવ્યું કે આપે આપના દીકરાનો શિરચ્છેદ કરી મોટી ભૂલ કરી છે. એમનાં આક્રંદથી શિવજીને પશ્ચાત્તાપ થાયો અને હાથેનું માથું કાપી દીકરાનાં ધડ પર બેસાડી જીવિત કરી વરદાન આપ્યું કે દરેક શુભ કાર્યમાં પ્રથમ તારી પૂજા થશે.

           આ હકીકત પાછળ ગૂઢ રહસ્ય છે.

     પ્રથમ તો પાર્વતીમાના શરીર પર એટલો બધો મેલ હતો કે તેમાંથી પૂતળું બનાવી શક્યાં?  કહેવાય છે કે તિબેટમાં વ્યક્તિઓ બે વખત ન્હાય છે. પહેલીવાર એ જ્ન્મે છે ત્યારે અને બીજીવાર મરણ પામે છે ત્યારે. ત્યાં ખૂબ ઠંડી હોવાને કારણે ત્યાં સ્નાનનું મહત્વ નથી. તેથી આખા જીવન દરમિયાન શરીર પર મેલ ભરાતો રહે છે.તિબેટનાં રીત રિવાજ મુજબ કન્યાના શરીર પર જેટલો મેલ તેટલી કન્યા સુલક્ષણી ગણાય. પણ આ તો જગતજનની પાર્વતીજી છે. શું પાર્વતીજીના શરીરે પર એટલો મેલ હશે કે જેમાંથી પુતળું બની શકે ? શિવજી ક્રોધમાં આવીને કર્તવ્ય બજાવી રહેલા બાળકનું માથું કાપી નાખે ખરા ? તેમજ પ્રાયશ્ચિત રૂપે હાથીનું માથું કાપી બાળકનાં ધડ પર બેસાડી દે? આ કોઈ લૌકિક ઘટના નથી પણ આધ્યાત્મિક રૂપક છે.

                             ગણેશજીનું આધ્યાત્મિક રૂપ

                     શિવ-શક્તિ બે તત્વો છે. શક્તિના બે પ્રકારની છે. પ્રલયકાળમાં જે પ્રકૃતિ સામ્યાવસ્થામાં રહે છે એટલે માત્ર સત્તામા રહે છે તે સતી. આ જ સતી જ્યારે સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે ત્યારે પાર્વતી કહેવાય છે. જ્યારે નવનિર્માણના શુભારંભમાં પ્રથમ શરીરનો મેલ ઉતારી સ્નાનવિધિથી કાર્યનો આરંભ થાય છે. શરીરને હાનિ પહોંચાડ્યા વગર જે સહજ રીતે શરીરથી જુદો થાય તે મેલ. મળ, મૂત્ર, કફ, વાળ, નખ, આંખ-નાક-કાન વગેરેના મેલ છે. આ તત્વો સમજવા જેવા છે. મૂળ પ્રકૃતિ – જેને આપણે શક્તિ કહીએ છીએ અને પૌરાણિક કાળમાં સતી કે પાર્વતી કહીએ છીએ. આમ મૂળ પ્રકૃતિમાંથી બુદ્ધિનું નિર્માણ થાય છે અને આ બુદ્ધિ એટલે આ પહેરો ભરતો બાળક. આ નિર્માણ કાર્યનો આરંભ થતાં જ શિવજીની સમાધિ ખૂલે છે.

     પ્રલયકાળમાં પુરુષ તમામ પ્રવૃત્તિથી મુક્ત હતો તેથી તેની આ સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે. કૈલાસ શબ્દનો અર્થ આ સ્થિતીને સ્પષ્ટતા આપે છે. કિલ+અસ= કિલાસ, કૈલાસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ, ઓસ અર્થાત સત્તા હોવી. પ્રલયકાળમાં પણ જેની અતિ પ્રસિદ્ધ સત્તા રહેલી હોય તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેના રહેઠાણને કૈલાસ કહેવાય. કૈલાસ શબ્દ જ મહાપ્રલયકાળનું ઐકાંતિક સ્થાન જે શિવજીની સમાધિનું સ્થાન સૂચવે છે.

    ગણેશ [બુદ્ધિ]નું પ્રથમ મનુષ્ય મસ્તક પ્રકૃતિનું બનાવેલું છે જે ભોગપ્રધાન છે જે હંમેશા ભોગોને શોધતું રહે છે. શિવજીએ તે મસ્તકને હઠાવી નવુ મસ્તક ગોઠવે છે જેને શૈવી બુદ્ધિ કહી શકાય. આ શૈવી બુદ્ધિ અમાઘ શક્તિશાળી હોવાથી ઈંદ્રિયોને પોતાને આધીન રાખે છે. ગણેશનું માથું હાથીનું મસ્તક શા માટે પસંદ કરવામાં આવ્યું?

    મોટું માથું જે વિશાળ જ્ઞાનથી ભરપૂર, મોટા કાન જે બહુશ્રુત, ઝીણી આંખો જે સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબુ નાક જે દૂર સુધીની સુગંધ-દુર્ગંધને પારખવાની ક્ષમતા ધરાવે છે. વિશાળ પેટ જે બધી વાતોને પચાવવાની ક્ષમતા ધરાવે છે. આમ ગણેશની બાહ્ય આકૃતિ સૈવી બુદ્ધિવાળા મહાપુરુષનાં લક્ષણો સમજાવતી છે,

આપણાં કોઈ પણ દેવ વાહન વિનાના નથી. એમાં પણ ઉંદર ફક્ત ગણેશજીનું વાહન છે. તેની પાછળ પણ રહસ્ય છે. ગણેશની શૈવીબુદ્ધિ વિવેકબુદ્ધિની ગતિનો આધર ફક્ત તર્ક જ થઈ શકે. તર્ક વિના બુદ્ધિનો વિકાસ નથી થતો. ઉંદર એ તર્ક છે. નિરર્થક અહીંતહીં દોડાદોડ કરે છે અને કાપકૂપ કરે છે. અને તેને અંકૂશમાં રાખવા ગણેશજી જેવા ભારેખમ શરીરવાળાને ઉંદર ઉપર ગોઠવ્યું છે. માટે ગણેશના [બુદ્ધિના] ભાર સાથે ઉંદર [તર્ક] હોવો જરૂરી છે.  “વાદે વાદે જાયતે તત્વબોધઃ”

નિજ મંદિરમાં બિરાજેલા ભગવાન શંકર આવનાર ભક્તને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિ ઉખેડી શૈવીબુદ્ધિની સ્થાપના કર. આ શૈવી બુદ્ધિ જ શિવને પમાડે છે. વાસના બુદ્ધિ નહિ તે બતાવવા શિવાલયમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે.

                                 હનુમાનજી

શિવાલયમાં એક તરફ ગણપતિજી બિરાજે છે તો બીજી તરફ હનુમાનજી બિરાજે છે. ગણપતિજી તો શિવપુત્ર છે પણ હનુમાનજીને શા માટે બેઠકજી મળે છે?
હનુમાનજી પવનપુત્ર ગણાય છે તેમ જ શંકરસુવન પણ કહેવાય છે અને કેસરીનંદન કહેવાય છે. અંજનીમાતા છે અને કેસરી પિતા છે. આ બતાવે છે કે આ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે. હનુમાનજી અનન્ય ભક્તિ, પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્યના પ્રતિક છે. શ્રીરામના અનન્ય ભક્ત, મહાપરાક્રમી [વાયુ પરાક્રમના દેવ છે.] અને પૂર્ણ વૈરાગી [શિવજી વૈરાગ્યના દેવ છે] તરીકે તેમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ છે. અનન્ય ભક્તિ, પૂર્ણ પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્ય જ ભગવાન શંકરને પામી શકે છે. ઘણી જગ્યા પર હનુમાનજી એકલાનું મંદિર હોય છે. શ્રીરામજીનાં મંદિર સાથે હનુમાનજી તો હોય જ છે તેમ જ મહાદેવજી સાથે પણ હનુમાનજી હોય છે. શિવાલયમાં તેમનું પ્રતિક આ ત્રણ તત્વોની પ્રેરણા આપવા માટે છે. સાથે સાથે તેમના હાથમાં ઔષધ પર્વત પણ હોય છે. ઔષધ પર્વત સોચવે છે કે તે જીવનને પુનઃ ચેતના આપનારી છે. હનુમાનજી બીજા પગે પનોતીને દબાવી રાખે છે. એ સૂચવે છે કે પનોતી પરાક્રમી તથા વૈરાગ્યવાન પુરુષની દાસી બની જાય છે.

                                         ૐ નમઃ શિવાય

ભાલચન્દ્ર જટાગંગ

આજે મહા સુદ પૂનમ

ાલચન્દ્ર જટાગંગ

ભાલચન્દ્ર જટાગંગ

 

સાંભળવા અહીં ક્લિક કરો

સ્વર:- અહમદ હુસૈન, મોહમદ હુસૈન

હરિ ૐ હરિ ૐ હરિ ૐ

ભાલચન્દ્ર જટાગંગ [2]
ત્રિનયના ભસ્મ અંગ [2]

ત્રિશૂલ ડમરૂ ગલે ભુજંગ
ઉમા ગૌરી રત સંગ
મદન દહન પીવત ભંગ [2]
ધરત ધ્યાન જ્ઞાન રંગ [2]
— ભાલચન્દ્ર જટાગંગ

આનંદેશ્વર અર્ધનારી નટેશ્વર
પ્રણામ ૐ પરમેશ્વર [2]
આદિનાથ તુ મહેશ [2]
આદિનાથ તુ ગણેશ [2]
ભૈરવ સરપ ભૂતેશ્વર [2]
— ભાલચન્દ્ર જટાગંગ

કાલકરાલ, મહાકાલ, જટાજૂટ
ચન્દ્રભાલ,  કંઠગ્યાલ , મુંડમાલ
ત્રિશૂલ, ડમરૂ કર, કપાલ
સુમીરત નર ભૂત નીહાલ  [2]
— ભાલચન્દ્ર જટાગંગ

                                 ૐ નમઃ શિવાય

શિવ ચિન્હોનું તાત્પર્ય

                                         શિવ ચિન્હોનું તાત્પર્ય

ત્રિશૂળ :-

   શિવજીના હાથમાં ત્રિશૂળ છે. પ્રભુ ત્રિશૂળ દ્વારા પોતાના ભક્તોનાં ત્રણ શૂળો કાઢે છે એટલે તો તો તેઓએ ત્રિશૂળ ધારણ કર્યું છે. આ ત્રણ શૂળો એટલે 1] આધિ 2] વ્યાધિ 3] ઉપાધિ. આ ત્રિતાપમાંથી પ્રભુ આશુતોષ મુક્તિ અપાવે છે.

   સ્વામી સચ્ચિદાનંદજી પોતાના અનુભવથી કહે છે કે જેને અસહ્ય કામપાત થતા હોય તેણે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરવુ. થોડા દિવસોમાં આ તાપ ઓછો થઈ જશે. શિવ તો ત્રિપુરહર છે, કામારિ છે. જ્ઞાનવૈરાગ્યના આરાધક માટે ભગવાન શંકર આશ્રયસ્થાન છે.

ડમરું:-

     શિવજીને ડમરું વ્હાલું છે. ડમરું જ્ઞાનવાજિંત્ર છે. જે હંમેશા એક જ તાલમાં વાગે છે. બન્ને તરફ સંસાર-મોક્ષ-સરખો રણકો કરે છે. બન્ને તરફ એક જ તાલ અને એકસરખો રણકો વાગતો હોવાથી તેમાં આરોહ અવરોહના ઉતાર ચઢાવ નથી. એક ભાવ, સમ ભાવ. જ્ઞાનની એજ શોભા છે. વાણી નીકળે તે સમભાવી, એકપક્ષીય નહી પણ સૌને ન્યાય, અને સંતોષ આપનારી નીકળે. શિવજીએ એટલે જ કદાચ ડમરૂં પસંદ કર્યું હશે.

શિખર:

                તેમના શિવાલય વિષે વિચાર કરીયે.

        શિખરો હંમેશા અણીદાર હોય છે તે આકાશ તરફ ઊંચે જતા હોય તે દર્શાવે છે. દેવ સ્થાને જતાં ઉર્ધ્વ ગતિ કરવાની હોય છે. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા દેવસ્થાનોના શિખરો અણીયાળા બનાવી બનાવ્યા છે.

         આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ નંદીનાં દર્શન કરીએ છીએ. એક બાજુ ગણેશજી, બીજી બાજુ હનુમાનજી, કાચબો, ત્યારબાદ શિવલિંગ અને છેલ્લે પાર્વતીજી. આમ શિવાલયની રચના થઈ છે.

નંદી:

          આપણાં દરેક દેવના કોઈ ને કોઈ વાહન છે. આ વાહનો જાત જાતનાં છે અને દરેક સમજવા જેવાં છે. એવી જ રીતે શિવજીનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતિક છે. ધર્મ પોતે મદદરૂપ થઈને શિવ-કલ્યાણકારી પરમાત્માનું વાહન થયો છે. ગતિ કરાવે તે વાહન.
ગાય એ શ્રદ્ધાનું પ્રતિક છે અને નંદી ગાયનો પુત્ર જે ધર્મનું પ્રતિક છે. આમ ધર્મ ર શ્રદ્ધાનો પુત્ર છે. ધર્મ શ્રદ્ધામાંથી પ્રગટે છે. ગાયરૂપી શ્રદ્ધા પોતાના ધર્મની દુર્દશાનું વર્ણન – ફરિયાદ કરવા વિષ્ણુ પાસે ગયા. ધર્મનો ભાર નથી હોતો અધર્મનો હોય છે. પથ્થર કદાચ તારે-તરે પણ પાપ તો નથી તારે ન તો તરે.શિવજીનો નંદી તો ધર્મનું પ્રતિક છે માટે તો શિવજીએ વાહન તરીકે નંદીને પસંદ કર્યો છે.

            મંદિરમાં જઈએ છીએ ત્યારે નંદીના ત્રણ પગ વળેલા હોય છે અને ચોથા પગનાં સહારે નંદીજી ઊભા છે. એનો અર્થ એ થાય છે કે સતયુગ પૂરો થાય છે એટલે સતનો પગ વળી જાય. દ્વાપરયુગ પૂરો થાય એટલે તપનો પગ વળી જાય. ત્રેતા પૂરો થાય એટલે દયાનો પગ વળી જાય છે. કળિયુગ ધર્મ અને દાનના આધારે ટકી રહ્યો છે. જ્યારે નંદીનો ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પર પ્રલય થશે.

       નંદી એ બળદ છે તો એક વિચાર આવે કે શિવજીએ બળદને જ કેમ પસંદ કર્યો હશે? કારણ બળદ એ પુરુષાર્થનું પ્રતિક છે. પુરુષાર્થ બે પ્રકારના છે. 1] સ્વાર્થ માટે 2] પરમાર્થ માટે. ભલે બળદ પુરુષાર્થ પોતાના પેટ માટે કરે છે પણ હજારો મણ અનાજ પકવીને લોકોનાં પેટ ભરે છે. બસ તેનાં આજ પરમાર્થને ધ્યાનમાં લઈ શિવજીએ બળદને પોતાના વાહન તરીકે બિરદાવ્યો.

       મહાદેવના દર્શન કરવા આપણે પહેલી અને છેલ્લી આંગળી નંદીના શિંગડા પર ટેકવી વચ્ચેથી શિવજીનાં દર્શન કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે ધર્મ વિના મહાદેવનાં દર્શન નથી થતાં.

કાચબો [કચ્છપ] :-

      નંદી અને શિવજીની વચમાં કાચબાને મૂકવામાં આવ્યો છે. કાચબો એ સંયમનું પ્રતિક છે. મુશ્કેલ સમયમાં કાચબો પોતાનાં દએક અંગને અંદર સમેટી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ભટકતી ઈંદ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે તો શિવ પ્રાપ્ત કરી શકે છે.

શિવાલયમાં પ્રવેશ કરતાં એક બાજુ ગણેશજી અને બીજી બાજુ હનુમાનજી બિરાજે છે.

                                                      —[એ વિષે આવતા લેખમાં]

 

શિવ ધૂન

સાંભળવા અહીં ક્લિક કરો

ૐ શિવાય હરિ ૐ શિવાય
ૐ શિવાય હરિ ૐ શિવાય

                                                       ૐ નમઃ શિવાય